**૨.૫૨** જ્યારે તારી બુદ્ધિ મોહના કીચડને તરી જશે, ત્યારે તું સુણેલી અને સુણવામાં આવનારી (ભોગવિલાસની) વાતો પ્રતિ વિરક્તિને પ્રાપ્ત થઈશ.
**ટીકા:** 'જ્યારે તારી બુદ્ધિ મોહના કીચડને તરી જશે' – શરીરમાં 'હુંપણું' અને 'મારાપણું' માનવું, અને શરીરસંબંધી માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની-સંતાન, પદાર્થ અને દ્રવ્ય આદિમાં 'મારાપણું' માનવું, એ 'મોહ' છે. કારણ કે આ શરીરાદિમાં સ્વભાવે કોઈ 'હુંપણું' કે 'મારાપણું' હોતું નથી; પોતે જ માની લેવામાં આવે છે. અનુકૂળ પદાર્થ, વસ્તુ, વ્યક્તિ, ઘટના આદિ મળ્યે આનંદિત થવું અને પ્રતિકૂળ પદાર્થ, વસ્તુ, વ્યક્તિ આદિ મળ્યે વ્યાકુળ થવું; સંસારમાં – કુટુંબમાં – અસમાનતા, પક્ષપાત, ઈર્ષ્યા આદિ દોષ રાખવા, એ સર્વ 'કલિલમ' એટલે કીચડ છે. બુદ્ધિ જ્યારે મોહના આ કીચડમાં અટકી જાય છે, ત્યારે મનુષ્ય શું કરવું જોઈએ તે વિષે મૂંઝવણમાં પડી જાય છે. પછી તેને કશું સ્પષ્ટ થતું નથી.
સ્વયં ચેતન હોવા છતાં શરીર જેવી જડ વસ્તુમાં 'હુંપણું' અને 'મારાપણું' માનીને તેની સાથે સંબંધ જોડે છે. પરંતુ વાસ્તવમાં જે વસ્તુઓ સાથે તે સંબંધ જોડે છે, તે વસ્તુઓ તેની સાથે સદા રહી શકતી નથી, ના તો તે તે વસ્તુઓ સાથે સદા રહી શકે છે. પરંતુ મોહને કારણે તેની દૃષ્ટિ આ સત્ય તરફ વળતી નથી; ઊલટું નવા અને નાનાવિધ સંબંધો બાંધતું જાય છે અને સંસારમાં વધુને વધુ ઉલઝતું જાય છે. જેમ એક મુસાફર મંઝિલે પહોંચવાને બદલે રસ્તામાં જ ડેરો નાખીને રમત, ક્રીડા, હાસ્ય, પરિહાસમાં સમય ગાળે છે, તેમ મનુષ્ય અહીં નશ્વર પદાર્થોનો સંચય કરી તેમાંથી સુખ લેવામાં અને વ્યક્તિ, કુટુંબ આદિ પ્રતિ મમતા રાખી તેમાંથી સુખ લેવામાં મગ્ન રહે છે. એ જ તેની બુદ્ધિનો મોહના કીચડમાં ફસાવો છે.
શરીરમાં 'હુંપણું' અને 'મારાપણું' માનીને, કુટુંબમાં મમતા રાખીને અહીં થોડો સમય બેસી રહેવું છે? આમાં જ અટકી રહીને આપણા સત્ય કલ્યાણ (મોક્ષ)થી વંચિત રહેવું છે? આમાં ન ઉલઝતાં આપણે કલ્યાણ સાધવું જ જોઈએ – એવી દૃઢ નિશ્ચયની ભાવનાજ બુદ્ધિનો મોહના કીચડ ઉપરથી પાર ઊતરવો છે. કારણ કે, જ્યારે એવી દૃઢ ચિંતન-ભાવના થાય છે, ત્યારે બુદ્ધિ સંસારના સંબંધોને પકડીને અટકતી નથી; સંસારને ચોંટી રહેતી નથી.
મોહના કીચડને તરી જવાના બે સાધન છે: વિવેક અને સેવા. વિવેક (૨.૧૧-૩૦માં વર્ણવેલ) તીવ્ર થાય છે ત્યારે અસત્ય પદાર્થો પ્રતિ અરુચિ ઉત્પન્ન કરે છે. જો મન બીજાની સેવા કરવામાં, બીજાને સુખી કરવામાં તત્પર થાય, તો પોતાના સુખ-આરામનો ત્યાગ કરવાની શક્તિ ઊપજે છે. બીજાને સુખી કરવાની ભાવના જેટલી તીવ્ર, પોતાના સુખની ઇચ્છાનો ત્યાગ પણ તેટલો જ વધારે. જેમ શિષ્યમાં ગુરુને સુખી કરવાની, પુત્રમાં માતા-પિતાને સુખી કરવાની, અથવા સેવકમાં સ્વામીને સુખી કરવાની ઇચ્છા થાય છે, ત્યારે તેમની પોતાના સુખ-આરામની ઇચ્છા આપોઆપ અને સહેલાઈથી નષ્ટ થઈ જાય છે. તેમ જ જ્યારે કર્મયોગીમાં સમગ્ર વિશ્વની સેવા કરવાની ભાવના થાય છે, ત્યારે તેની પોતાના સુખ-ભોગની ઇચ્છા આપોઆપ નષ્ટ થઈ જાય છે.
વિવેક અને ચિંતનથી પોતાના ભોગની ઇચ્છાનો નાશ કરવામાં કંઈક કઠિનાઈ છે. કારણ કે જો વિવેક અને ચિંતન અત્યંત દૃઢ ન હોય, તો ભોગ સામે સીધા ન આવે ત્યાં સુધી જ તે અસરકારક હોય છે. જ્યારે ભોગ તેની સામે આવી પડે છે, ત્યારે સાધક સામાન્ય રીતે તેને જોઈને ચંચળ થઈ જાય છે. પરંતુ જેનામાં સેવાની ભાવના હોય છે, તે સર્વોત્તમ ભોગ પણ સામે આવે ત્યારે તે ભોગનો ઉપયોગ બીજાની સેવામાં કરે છે. એટલે તેની પોતાના સુખ-આરામની ઇચ્છા સહેલાઈથી નષ્ટ થઈ જાય છે. એટલા માટે જ ભગવાને કહ્યું છે કે કર્મયોગ જ્ઞાનયોગ (સાંખ્યયોગ) કરતાં શ્રેષ્ઠ (૫.૨), સહેલો (૫.૩) અને સિદ્ધિ આપવામાં શીઘ્ર છે (૫.૬).
'ત્યારે તું સુણેલી અને સુણવામાં આવનારી (ભોગવિલાસની) વાતો પ્રતિ વિરક્તિને પ્રાપ્ત થઈશ' – મનુષ્યે જે જે ભોગ સાંભળ્યા છે, અનુભવ્યા છે અને સારી રીતે જાણ્યા છે, તે સર્વ અહીં 'શ્રુતસ્ય' શબ્દમાં આવી ગયા. સ્વર્ગ, બ્રહ્મલોક આદિમાં જે જે ભોગ સાંભળવામાં આવે છે, તે સર્વ અહીં 'શ્રોતવ્યસ્ય' શબ્દમાં આવી ગયા. જ્યારે તારી બુદ્ધિ મોહના કીચડને તરી જશે, ત્યારે તું આ 'શ્રુત' લૌકિક અને 'શ્રોતવ્ય' પારલૌકિક ભોગો પ્રતિ, આ પદાર્થો પ્રતિ વૈરાગ્યને પ્રાપ્ત થઈશ. અર્થ એ કે જ્યારે બુદ્ધિ મોહના કીચડને તરી જશે, ત્યારે બુદ્ધિમાં તીક્ષ્ણ વિવેક જાગ્રત થશે: સંસાર તો ક્ષણે ક્ષણે બદલાય છે, જ્યારે હું તો એકસમાન રહું છું; એટલે આ સંસારથી મારી શાંતિ કેમ થઈ શકે? મારી અભાવબુદ્ધિ કેમ દૂર થઈ શકે? ત્યારે 'શ્રુત' અને 'શ્રોતવ્ય' બંને પ્રકારના પદાર્થો પ્રતિ વૈરાગ્ય આપોઆપ ઊપજશે.
અહીં ભગવાને 'શ્રુત'ને બદલે 'ભુક્ત' અને 'શ્રોતવ્ય'ને બદલે 'ભોક્તવ્ય' એમ કહેવું જોઈતું હતું. પરંતુ એમ ન કહેવાનો આશય એ છે કે સંસારમાં જે પદાર્થોનું દર્શન થયું હોય કે ન થયું હોય, તે પદાર્થો પ્રતિ આકર્ષણ માત્ર તેમનું શ્રવણ કરવાથી જ થાય છે. એટલે અહીં શ્રવણ પ્રધાન છે. જ્યાં સંસાર અને સંસારના પદાર્થોમાંથી મુક્ત થવા માટે જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ વર્ણવ્યા છે, ત્યાં પણ 'શ્રવણ'ને પ્રધાન કહ્યું છે. અર્થ એ કે સંસારમાં અને પરમાત્મામાં આસક્ત થવું, એ બંનેમાં શ્રવણ પ્રધાન છે.
અહીં 'જ્યારે' અને 'ત્યારે' એમ કહેવાનો આશય એ છે કે એવો નિયમ નથી કે આ 'શ્રુત' અને 'શ્રોતવ્ય' પદાર્થો પ્રતિ વૈરાગ્ય અમુક વર્ષે, અમુક માસે કે અમુક દિવસે ઊપજશે. ઊલટું, જે ક્ષણે બુદ્ધિ મોહના કીચડને તરી જશે, તે જ ક્ષણે 'શ્રુત' અને 'શ્રોતવ્ય' પદાર્થો પ્રતિ, ભોગો પ્રતિ વૈરાગ્ય ઊપજશે. એમાં વિલંબ નથી.
★🔗